દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન 96 વર્ષીય લાલકૃષ્ણ અડવાણીને બુધવારે મોડી રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાને કારણે AIIMSમાં યુરોલોજી વિભાગની દેખરેખમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
31 માર્ચે લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ઘરની મુલાકાત લીધી અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ 3 ફેબ્રુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. અગાઉ 2015માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.