દેશમાં ચોમાસાને કારણે અનેક રાજ્યોમાં સારો એવો વરસાદ પડ્યો છે તો ઘણા માટે આ ચોમાસુ આફત બની ગયું છે. અત્યાર સુધીમાં યુપીમાં 52, બિહારમાં 16, આસામમાં 92 અને હિમાચલ પ્રદેશમાં 22 લોકો વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.
ઉત્તરપ્રદેશ અને બિહારમાં તો ઘણી જગ્યાએ આકાશથી વીજળી પડવાને લીધે ઘણાં લોકોએ જીવ ગુમાવ્યાની માહિતી મળી છે. ઉત્તરાખંડના ચમોલીમાં ગઈકાલે જ ભૂસ્ખલન થયા બાદ બદ્રીનાથ હાઈવે બંધ થઈ ગયો હતો. જેના લીધે 3000થી વધુ યાત્રીઓ ફસાઈ ગયાની માહિતી મળી છે. ઉત્તરાખંડના હલ્દવાની, બનબસા, સિતારગંજ, ખટીમા અને ટનકપુરમાં વરસાદને કારણે હાલત દયનીય થઈ ચૂકી છે. કાટમાળને કારણે 200થી વધુ રોડ ઠપ થઇ ગયા છે. બીજી બાજુ બિહારમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિત અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ગોપાલગંજ, બેતિયા, બગહામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બુધવારે જ વીજળી પડવાને કારણે 4 લોકો બિહારમાં મૃત્યુ પામી ગયા હતા જ્યારે 6 ઈજાગ્રસ્ત થયા હતા.