છેલ્લા એક મહિનામાં જમ્મુ માં સતત 6 થી 7 આતંકી હુમલા થયા છે. જ્યારે 2021 થી, એકલા જમ્મુમાં 21 આતંકવાદી ઘટનાઓ બની છે. આ 3 વર્ષમાં 42 જવાનો શહીદ થયા અને 23 નાગરિકો પણ શહીદ થયા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આતંકવાદ કાશ્મીરથી જમ્મુ પ્રદેશ તરફ આગળ વધી રહ્યો છે અને હિંદુ ગામડાઓ તેનું નિશાન છે.
જમ્મુના કઠુઆમાં જ્યાં આ આતંકવાદી ઘટના બની તે બદનોટા ગામ પાસે છે. આ એક હિન્દુ પ્રભુત્વ ધરાવતું ગામ છે. જમ્મુના કઠુઆ, સાંબા અને ડોડા જેવા જિલ્લાઓમાં સામાન્ય રીતે હિન્દુ મુસ્લિમોની વસ્તી 50-50 ટકા છે. પર્વતોમાં પણ બંને સમુદાયની મિશ્ર વસ્તી છે. આતંકવાદીઓએ સેના પર હુમલો કરવા માટે એક હિન્દુ ગામ પસંદ કર્યું. સુરક્ષા દળોના સૂત્રોનું કહેવું છે કે આતંકવાદીઓએ જાણી જોઈને આ સ્થાન પસંદ કર્યું હતું જેથી નજીકના ગ્રામજનોને શંકા ન જાય. જ્યાં ટ્રકો રોકાઈ હતી તેની આસપાસ ગાઢ જંગલ હતું. જમ્મુમાં છેલ્લા એક મહિનામાં 7 નાના-મોટા હુમલા થયા છે. કાશ્મીર ટાઇગર (KT), ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) જેવા નવા નામના જૂથોએ તાજેતરના આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 20 વર્ષમાં ત્રણ આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) અને હિઝબુલ મુજાહિદ્દીન (HM) સૌથી વધુ ચર્ચામાં રહ્યાં છે. 2019 પછી, આતંકવાદી જૂથોએ પ્રોક્સી નામોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.