આગામી સમયમાં ગુજરાતમાં ભાજપ સંગઠન પર્વની જાહેરાત થશે અને આ પર્વ અંદાજે બે માસ જેટલો સમય ચાલી શકે છે. એ સમયે પણ પ્રદેશ પ્રમુખની હાજરી આવશ્યક રહેશે. એવા સંજોગોમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખની થિયરી પણ ભાજપ અપનાવી શકે છે અથવા તો નવા પ્રદેશ પ્રમુખ ન આવે ત્યાં સુધી પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલને યથાવત્ રાખી શકે એવી ચર્ચા પણ ચાલી રહી છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલાશે એવી અટકળો તેજ બની છે. જો કે, સી.આર. પાટીલની ટર્મ ગત જુલાઈ 20, 2023ના રોજ પૂર્ણ થઈ હતી. ટર્મ પૂરી થયા બાદ પણ તેમને નહીં બદલીને ભાજપે સૌને ચોંકાવ્યા છે. જો કે, આજે સી.આર. પાટીલને એકસટેન્શન મળવાને એક વર્ષ પૂર્ણ થયું છે. એટલે કે, ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ 4 વર્ષ પૂરા કરશે.
આ બધી અટકળો વચ્ચે રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની તારીખ 25થી 30 જુલાઈ સુધી દિલ્હી ખાતે બેઠક મળવાની છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિતના પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો હાજર રહેનાર છે. આ બેઠકમાં ભાજપની આગામી રણનીતિ અંગે ચર્ચા થશે. તેમજ અનેક મહત્વના નિર્ણય આ બેઠકમાં લેવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અંગે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
જો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અંગે નિર્ણય લેવાય તો તેની જાહેરાત 5 ઓગસ્ટ પહેલા થઈ શકે છે. આમ, પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતમાં 4 વર્ષ પૂરા કરનારા સી.આર. પાટીલ રહેશે કે જશે? તે અંગે રાજકારણ સાથે જોડાયેલા સૌ કોઈની નજર રહેલી છે.