પ્રશાંત કિશોરને ભારતીય રાજનીતિના ‘ચાણક્ય’તરીકે ઓળખાવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી તેમની પાર્ટી વિશે અટકળો ચાલી રહી છે. બસ હવે લોકોની એ આતુરતાનો અંત આવી ગયો છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ બીજી ઓક્ટોબરે તેમની પાર્ટીની જાહેરાત કરશે અને તેમની પાર્ટી બિહાર વિધાન સભાની ચૂંટણી લડશે.
બિહારની રાજધાની પટનામાં જન સૂરજના રાજય સ્તરીય કાર્યશાળામાં પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ ૨ ઓક્ટોબરે પાર્ટી બનાવશે અને તેમની પાર્ટી ૨૦૨૫માં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પાર્ટીનો નેતા કોણ હશે તે લોકો જ નક્કી કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે જન સૂરજ એ પ્રશાંત કિશોર કે કોઈ જાતિ કે કોઈ પરિવાર કે વ્યક્તિનો પક્ષ નહીં હોય, પરંતુ બિહારના લોકોનો હશે જેઓ સાથે મળીને તેને બનાવશે.
આ પહેલા ૧૦ જૂનના રોજ જન સુરાજ કાર્યક્રમમાં પ્રશાંત કિશોરે ત્રણ પ્રસ્તાવ રાખ્યા હતા, જેમાં રાજકીય પક્ષ બનાવવો, બિહારની તમામ બેઠકો પર વિધાન સભાની ચૂંટણી લડવી અને સમાજના તમામ વર્ગોને તેમની સંખ્યા અનુસાર ચૂંટણી ટિકિટ આપવાના પ્રસ્તાવનો સમાવેશ થતો હતો, જેને મોટા ભાગના હાજર લોકોએ સંમતિ આપી હતી.