વાયનાડમાં વરસાદ વચ્ચે ભૂસ્ખલન બાદ 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે. 16 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થિતિ એટલી ભયાનક છે કે વાયુસેનાને તમિલનાડુથી બે હેલિકોપ્ટર મોકલવા પડ્યા છે. લોકોને બચાવવા માટે મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનામાં 2 બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. માહિતી અનુસાર, ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, અને તેમને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભૂસ્ખલનમાં ઘાયલ થયેલા 16 લોકોને વાયનાડના મેપ્પડીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે.