મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલટીસી/વતન પ્રવાસનો લાભ 6000 કિમીની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે. આ મુસાફરીનો 5 લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે.
ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓને મળતી આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના હિતમાં ઉદાર વલણ અપનાવીને એલટીસી બ્લોક 2020-23ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમિયાન આ નિર્ણયનો લાભ મળશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવશે.