વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પોલેન્ડની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા હતા અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી તેઓ નવાનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના સ્મારક પર પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પછી પીએમ મોદીએ ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા એક અઠવાડિયાથી તમે લોકો જ ભારતીય મીડિયામાં છવાયેલા છો. 45 વર્ષ પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ PM પોલેન્ડ આવ્યા હોય. મારા નસીબમાં કેટલાક સારા કામ લખેલા છે.
પીએમ મોદીએ કહ્યું કે તેમના પહેલા આટલા લાંબા સમય સુધી કોઈ ભારતીય પીએમ અહીં આવ્યા નથી. અગાઉની સરકારોની નીતિ અંતર જાળવવાની હતી. અમારી નીતિ એ છે કે આપણે તમામ દેશો સાથે નિકટતા જાળવી રાખવાની છે. PM જામનગરના જામ સાહેબનો પણ ઉલ્લેખ કર્યો. પીએમે કહ્યું કે થોડા દિવસ પહેલા હું હાલના જામ સાહેબને મળવા ગયો હતો. પોલેન્ડની તસવીર હજુ પણ તેમના રૂમમાં છે. પોલેન્ડમાં બધા આપણા જામ સાહેબને સારા મહારાજા તરીકે ઓળખે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે પોલેન્ડ મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું ત્યારે જામ સાહેબ દિગ્વિજય સિંહજીએ પોલેન્ડના લોકોની મદદ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે, ભારત ભગવાન બુદ્ધના વારસાની ભૂમિ છે. તેથી ભારત શાંતિનો હિમાયતી છે. ભારત માને છે કે આ યુદ્ધનો યુગ નથી. ભારત યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિમાં માને છે. આજનો ભારત સૌના વિકાસની વાત કરે છે. આજનો ભારત દરેકની સાથે છે અને દરેકના હિત વિશે વિચારે છે. માત્ર ભારત જ છે જે વિકસિત રાષ્ટ્ર અને નેટ ઝીરો રાષ્ટ્ર બંનેના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. નાસ્કોમનો અંદાજ છે કે ભારત તેના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આ દાયકાના અંત સુધીમાં ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે. ભારત જામ સાહેબ યુવા વિનિમય કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે. આ અંતર્ગત ભારત દર વર્ષે 20 પોલિશ યુવાનોને ભારત આવવા માટે આમંત્રિત કરશે.
વડાપ્રધાન મોદી પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કને મળશે. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે. આ પછી પીએમ મોદી રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડાને મળશે. આવતા વર્ષે પોલેન્ડ યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખ બનવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પોલેન્ડ સાથે સારા સંબંધો ભારત માટે રાજકીય દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે.