ઉત્તરપૂર્વીય રાજ્ય ત્રિપુરામાં છેલ્લા 5 દિવસમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે 17 લાખ લોકો પ્રભાવિત થયા છે. 22 લોકોના મોત થયા છે. 450 રાહત શિબિરોમાં 65 હજાર લોકો છે. ત્રિપુરામાં છેલ્લા 5 દિવસમાં 1900થી વધુ ભૂસ્ખલન થયા છે. આસામ રાઈફલ્સની રાઈફલ મહિલા બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહી છે. રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 750 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ત્રિપુરાના સીએમ માણિક સાહાને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે ફોન કર્યો હતો અને તેમને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. શાહે કહ્યું કે NDRFની 4 ટીમો બચાવ કામગીરીમાં મદદ માટે પહોંચી છે.
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ગુરુવારે રાત્રે લગભગ 1.20 વાગ્યે ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મોત થયા હતા. બચાવ કાર્યમાં લાગેલી NDRFની ટીમે સવારે ચારેયના મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. અહીં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પણ બંધ થઈ ગયો છે. ચમોલી પોલીસે જણાવ્યું કે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના 10 જિલ્લાના 80થી વધુ ગામો પૂરથી પ્રભાવિત છે. બલિયામાં ગંગા અને બારાબંકીમાં ઘાઘરા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.