નેપાળમાં ઉત્તરપ્રદેશની એક બસ નદીમાં ખાબકી છે. ગોરખપુરની આ બસમાં 40 મુસાફર હતા, જેમાંથી 27નાં મોત થયાં છે. બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. આ દરમિયાન એ કાબૂ બહાર જઈ નદીમાં પડી ગઈ હતી. તનાહુન જિલ્લામાં શુક્રવારે આ અકસ્માત થયો હતો. જિલ્લા એસપી બિરેન્દ્ર શાહીએ કહ્યું- બસ મર્સ્યાંગડી પાસે નદીમાં પડી છે. સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સેના અને સશસ્ત્ર દળોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
તનાહુનના ડીએસપી દીપકુમાર રાયાએ જણાવ્યું હતું કે બસનો નંબર UP-53 FT 7623 છે. એ ગોરખપુરના ધર્મશાલા બજાર વિસ્તારના રહેવાસી સૌરભ કેસરવાણીની પત્ની શાલિની કેસરવાણીના નામે નોંધાયેલો છે. યુપી સરકારના ડિઝાસ્ટર રિલીફ કમિશનરે કહ્યું- નેપાળના અધિકારીઓનો સંપર્ક કરીને માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.