ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અતિશય વરસાદના કારણે 10 લોકોના મોત થયા છે. રાહત કમિશનરની ઓફિસ દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, મેરઠમાં ‘અતિશય વરસાદ’ને કારણે આ મોત થયા છે. જોકે, અહેવાલમાં મૃત્યુના કારણો વિશે વધુ વિગતો આપવામાં આવી નથી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે કુલ 14 લોકોના મોત થયા છે. રાજ્યના વોટરશેડ વિસ્તારોમાં વ્યાપક વરસાદ અને ડેમમાંથી પાણી છોડવાના કારણે ગંગા, શારદા અને ઘાઘરા સહિતની અનેક નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. વરસાદને કારણે થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે અને અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓના જળસ્તરમાં વધારાને કારણે નીચાણવાળા વિસ્તારો અને કોલોનીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં 38 રસ્તાઓ બંધ થઈ ગયા છે અને 11 વીજ પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરએ રવિવારે આ માહિતી આપી હતી. સ્થાનિક હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ભારે પવન અને વાવાઝોડાની ‘Yellow’ ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ જારી રહેશે.