ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ્યથી સંગઠન ઊભું થવા જઈ રહ્યું છે. 20 સપ્ટેમ્બર શુક્રવારે અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપુત ભવન ખાતે ગુજરાતના રાજા રજવાડાઓથી લઈ તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજવા જઈ રહ્યું છે. આ સમારોહમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થશે. જેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. તેવું રાજપુત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયાએ જણાવ્યું છે.
રાજપુત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, દેશને એક કરવા માટે ક્ષત્રિય રાજાઓએ પોતાના રાજા રજવાડા દાનમાં આપી દીધા હતા. ગુજરાતમાં 225થી વધારે રાજા રજવાડાઓ અને ક્ષત્રિય સમાજની અનેક સંસ્થાઓ છે. ક્ષત્રિય સમાજ હાલ અલગ અલગ વાડાઓમાં સંકળાયેલો છે. ક્ષત્રિય સમાજને એક કરવા અને સંગઠિત કરવાના ઉદ્દેશ્યથી મહા સંગઠન બનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના ગોતા ખાતે આવેલા સ્વ. હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપુત ભવન ખાતે 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના તમામ રાજા રજવાડાઓના મહારાજા તેમજ ક્ષત્રિય સમાજની સંસ્થાઓના આગેવાનોનું ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું છે.
આ સંમેલનમાં રાજા રજવાડાઓથી લઇ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ લોકો અને સંસ્થાઓના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્ષત્રિયોને સંગઠિત હવે થવાની જરૂરિયાત છે. “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ” નામના સંગઠનની જાહેરાત કરવામાં આવશે જેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજ સિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના ભવ્ય સંમેલનમાં તમામ રાજા રજવાડાઓથી લઈ સંસ્થાના આગેવાનો જોડાશે અને સમાજમાં ચાલતા કુરિવાજો અને કેટલીક પ્રથાઓને દૂર કરવાથી લઈ ક્ષત્રિયોને તમામ ક્ષેત્રોમાં આગળ આવવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે.