ભાદરવી સુદ આઠમ તારીખ 12 સપ્ટેમ્બરથી શરુ થયેલો ભાદરવી મહાકુંભનો આજ છેલ્લો દિવસ છે. આજે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો અંબાજી મંદિરે જોવા મળી રહ્યો છે. સવારે 6 વાગ્યે માતાજીની મંગળા આરતીમાં ‘બોલ માડી અંબે જય જય અંબે’નો નાદ કરતા કરતા મોટી સંખ્યામાં ભક્તો જગતજનની મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
પૂનમને લઈ અનેકો સંઘો અને પદયાત્રીઓએ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. 7 દિવસના મહામેળામાં 6 દિવસ દરમિયાન 27 લાખ જેટલા ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે. ત્યારે આજે પણ ભક્તો અવિરતપણે માતાજીના દર્શન કરવા અને માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરવા ઉમટી રહ્યા છે. મેળામાં કાર્યરત વિવિધ વિભાગો દ્વારા આજે ભાદરવી મહાકુંભ નિર્વિઘ્ને સંપન્ન થતાં મંદિરના શિખરે ધજા ચઢાવી માતાજીનો આશીર્વાદ લેશે.
આજે મહામેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ભાદરવી મહાકુંભમાં 6 દિવસમાં 26,92,063 ભક્તોએ દર્શન કર્યા છે. તેમજ 6 દિવસમાં 4,41,651 લોકોએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો હતો. આ સાથે 16,61,501 મોહનથાળના પેકેટ અને 30,366 ચિકીના પેકેટનું વેચાણ થયું છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન 6 દિવસમાં 2781 ધજા મંદિરના શિખર પર ચઢાવી હતી. તો ભંડાર, ગાદી, ભેટ કાઉન્ટર, સહિતની કુલ 6 દિવસની આવક 2 કરોડ 28 લાખ 98 હજાર આવી છે.