ગુજરાતમાં ડિગ્રી વગરના ડોક્ટરો ક્લિનિક ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. જેમાં ઘણાં કિસ્સામાં તો આ બોગસ તબીબો માત્ર 8થી 10 ધોરણ ભણેલા હોય તેવું પણ સામે આવી ચુક્યું છે. રાજ્યના બે મહાનગરની વાત કરવામાં આવે તો સુરતમાં સવા મહિનામાં જ પોલીસે એક-બે નહીં, પરંતુ 31 જેટલા બોગસ તબીબોની ધરપકડ કરી છે
સૌથી અગત્યની વાત એ પણ છે કે, ધરપકડ બાદ ગણતરીના કલાકોમાં આરોપીઓને જામીન મળી જાય છે અને તેઓ પોતાની દુકાન ફરી શરૂ કરી દે છે. સુરતમાં નવ મહિનામાં આ બોગસ ડોક્ટરના કારણે બે માસૂમનો ભોગ લેવાયો છે. તેમજ અમદાવાદમાં એક બોગસ ડોક્ટરને બાળકીએ જીવ ગુમાવવો પડ્યો હતો.
રાજકોટની વાત કરવામાં આવે તો માત્ર ધોરણ 8 અને 12 પાસ કરી પોતાનું ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરો ઝડપાયા હતાં. આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પોતે જણાવે છે કે, આ બોગસ ડોક્ટરોને ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે. આ માટે સરકારે જ નિયમો સખત કરવાની જરૂર છે. સુરત શહેર પોલીસ દ્વારા શહેરના બોગસ ડોક્ટરો સામે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં 31 જુલાઈ 2024ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી કુલ 16 જેટલા ડોક્ટરોની ધરપકડ કરી હતી.
3 સપ્ટેમ્બરના રોજ પાંડેસરા પોલીસે લોકોની જિંદગી સાથે ચેડા કરનાર 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા. માત્ર સવા મહિનામાં 31 જેટલા ડોક્ટરોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં આ ડોક્ટરોએ જામીન મેળવી ફરીથી પોતાની દુકાન શરૂ કરી દીધી હતી.






