કેજરીવાલે 17 સપ્ટેમ્બરે પોતાનું રાજીનામું એલજીને સોંપ્યું હતું તે જ દિવસે આતિષીએ સરકાર બનાવવા માટે સમય માંગ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 21 સપ્ટેમ્બરથી આતિશી માર્લેના સિંહને દિલ્હીના સીએમ તરીકે નિયુક્ત કર્યા છે. 5 મંત્રીઓની નિમણૂકને પણ મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિએ અરવિંદ કેજરીવાલનું રાજીનામું પણ સ્વીકારી લીધું હતું.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આતિશી 21 સપ્ટેમ્બર, શનિવારે સાંજે 4:30 વાગ્યે રાજભવન (લેફ્ટનન્ટ ગવર્નરના નિવાસસ્થાન) ખાતે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેના તેમને શપથ લેવડાવશે. આતિશી દિલ્હીની સૌથી યુવા અને ત્રીજા મહિલા સીએમ હશે. આતિશીની સાથે, 5 AAP ધારાસભ્યો – ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવત મંત્રી તરીકે શપથ લેશે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મનીષ સિસોદિયા પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
આતિશી દિલ્હીના 9મા અને સૌથી યુવા મુખ્યમંત્રી ઉપરાંત સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત પછી ત્રીજા મહિલા મુખ્યમંત્રી હશે. દિલ્હીના સૌથી યુવા સીએમ બનવાનો રેકોર્ડ કેજરીવાલના નામે હતો. 2013માં જ્યારે તેઓ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની ઉંમર 45 વર્ષની હતી. આતિશી અત્યારે 43 વર્ષના છે.