ગુજરાતમાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર કોઈએ મોડી રાત્રીના લોખંડના ટુકડા નાખી અને રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા લોખંડના પાટાનો ટુકડો ઉભો કરી દીધું હતું જેના કારણે બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર મોડી રાત્રીના ઓખાથી ભાવનગર જતી ટ્રેનનું એન્જીન બંધ થયું હતું. જોકે આ દુર્ઘટનામાં ટ્રેન સહિસલામત રીતે રેલવે ટ્રેક પર ઊભી રહી જતા હજારો જીવ બચ્યા હતા અને કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાને લઈને રેલવે બોટાદ એસપી, ડિવાયેસપી, રેલવે અધિકારીઓ, રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે ટ્રેન ઉથલાવાનો પ્રયાસ થયો હોય તેવી આશંકાએ તપાસ હાથ ધરી છે. રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો હાલ સામે આવી છે. હાલ બોટાદ પોલીસ, LCB, SOG સહિતની ટીમે આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે ડોગ-સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે બોટાદ જિલ્લા SP કે.એફ. બરોડિયાએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી 2 કિલોમીટરના અંતરે વહેલી સવારે પેસેન્જર ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટ્રેન જતી હતી ત્યારે કોઈએ રેલવે ટ્રેકની વચ્ચે આશરે ચારેક ફૂટ લંબાઈનો જુનો પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. જેના લીધે ઓખા-ભાવનગર ટ્રેનનું એન્જીન અથડાતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી. ત્યાપ બાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા રાણપુર પોલીસને જાણ કરતા હાલ LCB, SOG સહિતની ટીમે આ અંગે તપાસ હાથ ધરી છે.