આગામી 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી લોકો ગરબે રમતા જોવા મળશે. સોસાયટીઓ, ફ્લેટો, પાર્ટી પ્લોટ અને ક્લબ દરેક જગ્યાએ નવરાત્રિના ગરબાનું આયોજન થતું હોય છે ત્યારે આ સમયગાળા દરમિયાન કોઈ ઘટના કે દુર્ઘટના ન બને તે હેતુસર સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. દરેક ગરબાના આયોજકે ગાઈડલાઈનોનું પાલન કરવાનું રહેશે. ખેલૈયાઓ પારદર્શક કે અશ્લીલતા ઉજાગર થાય એવા કપડાં પહેરીને ગરબા સ્થળે ગરબા રમવા માટે આવી શકશે નહીં. ગરબા સ્થળે કોઈપણ વ્યક્તિ બેગ કે અન્ય ચીજવસ્તુઓ ગરબાના સ્થળ ઉપર લઈ જવા ન દેવા માટેની સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે. પોલીસે આયોજકો માટે 30 નિયમની ગાઈડલાઈન બનાવી છે.
નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરનાર આયોજકોએ અમદાવાદ શહેર પોલીસના લાયસન્સ શાખામાંથી પોલીસની પરમિશન લેવાની રહેશે. રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક અને લાઉડ સ્પીકર ચાલુ રાખવાની પરમિશન આપવામાં આવશે. 12 વાગ્યા બાદ કોઈપણ લાઉડ સ્પીકર કે માઈકનો ઉપયોગ થશે તો આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ ઘટના કે દુર્ઘટના માટે આયોજકની જવાબદારી રહેશે. ગરબાના સ્થળ ઉપર જેટલી ક્ષમતા હોય તેટલા જ પાસ વેચવાના રહેશે. ક્ષમતા કરતાં વધુ પાસ વેચી શકાશે નહીં. દરેક ગરબા આયોજકે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ-અલગ રાખવાના રહેશે વધારે પ્રમાણમાં ગેટ રાખવાના રહેશે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ગેટ પર બ્રેથ એનલાઈઝર અને CCTV કેમેરા તેમજ મેટલ ડિટેક્ટર લગાવવાના રહેશે. ગરબા ગ્રાઉન્ડ કે સ્થળની આસપાસ ચારેય તરફ વોચ ટાવર ઉભા કરી ગરબાનું વીડિયો શૂટીંગ રોજ કરવાનું રહેશે. ક્લોઝ સર્કિટ કેમેરા પર લગાવવાના રહેશે. ગરબાના સ્થળની 200 મીટર કોઈપણ ટ્રાફિકજામ ન થાય તેના માટે આયોજકોએ વોલન્ટીયર અને સિક્યોરિટી રાખવાની રહેશે. આ તમામ જવાબદારી આયોજક પર મૂકવામાં આવી છે. ગરબા સ્થળ ઉપર સિક્યોરિટી ગાર્ડ, સ્વયંસેવકો, વોલન્ટીયર સહિતનો સ્ટાફ રાખવામાં આવે તે તમામ લોકોના ફોટા સાથે આઈકાર્ડ આપવાનું રહેશે. મોટા સ્ટેજ માટે PWDનું સર્ટિફિકેટ પણ મેળવવાનું રહેશે.
વાહન પાર્કિંગ કરવામાં આવે છે તે તમામ વાહનોના નંબર અને પ્રકારની રજિસ્ટરમાં નોંધ કરવાની રહેશે
ગરબાના સ્થળ અને પાર્કિંગ બંને વચ્ચે અંતર રાખવાનું રહેશે અને બેરિકેટ કરવાનું રહેશે. જે પણ વાહન પાર્કિંગ કરવામાં આવે છે તે તમામ વાહનોના નંબર અને પ્રકારની રજિસ્ટરમાં નોંધ કરવાની રહેશે. ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર, RC બુક અને પોલિસી અંગે પણ નોંધ કરવાની રહેશે. જે પણ લોકો ગરબા જોવા આવતા હોય અને ગરબા રમવાના હોય તે બંને વચ્ચે અંતર રાખી બેરીકેટિંગ કરવાનું રહેશે. જરૂરી મેડિકલ સુવિધા પણ ગરબાના આયોજન સ્થળે રાખવાની રહેશે. મહિલા અને પુરૂષના એન્ટ્રી ગેટ અલગ રાખી પ્રવેશ આપવાનો રહેશે. કોઈપણ અનિચ્છનીય બનાવ બને અથવા શંકાસ્પદ વસ્તુ જણાય તો પોલીસને જાણ કરવાની રહેશે.
ત્રીજા નોરતેથી મેટ્રો રાત્રે 2 સુધી દોડાવવામાં આવશે
નવરાત્રિમાં મેટ્રો રાત્રે 2 સુધી ચાલુ રાખવામાં આવશે. મેટ્રોના સત્તાવાળા આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરશે. ત્રીજી નવરાત્રિથી મેટ્રો રાત્રે 2 સુધી દોડાવવામાં આવશે. ગત વર્ષે પણ નવરાત્રિમાં રાત્રે 10 પછી મોડી રાત સુધી દર 20 મિનિટે મેટ્રો મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ હતી. ગત વર્ષે નવરાત્રિ દરમિયાન અંદાજે 5 લાખ લોકોએ મેટ્રોની સફર કરી હતી. શહેરના એક છેડેથી બીજા છેડે ગરબા રમવા જતાં લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે અને સલામત રીતે પાછા ફરી શકે તે માટે મેટ્રોની સમય મર્યાદા લંબાવીને રાત્રે 2 વાગ્યા સુધી કરવામાં આવશે.