આરજી કરના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને શુક્રવારે (27 સપ્ટેમ્બર) સ્પેશિયલ CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સંદીપને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું, સંદીપ પર લાગેલા આરોપો ગંભીર છે. જો આ સાબિત થશે તો ઘોષને મૃત્યુદંડની સજા થઈ શકે છે.
સીબીઆઈએ 9 ઓગસ્ટના રોજ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના પૂર્વ ઈન્ચાર્જ અભિજીત મંડલની ધરપકડ કરી હતી. આ બંને પર પુરાવા સાથે ચેડા કરવાનો અને આરજી કર હોસ્પિટલના તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા કેસમાં એફઆઈઆર નોંધવામાં વિલંબ કરવાનો આરોપ છે. સંદીપ અને અભિજીતને 30 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ નવા ખુલાસા કર્યા છે. એજન્સીએ 25 સપ્ટેમ્બરના રોજ સિયાલદાહ કોર્ટમાં દાવો કર્યો હતો કે તાલા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર-હત્યા કેસ સાથે સંબંધિત કેટલાક દસ્તાવેજો ખોટી રીતે તૈયાર કરવામાં આવ્યા હતા અને બદલવામાં આવ્યા હતા.સીબીઆઈએ કહ્યું કે પોલીસે મુખ્ય આરોપી સંજય રોયના કપડાં અને સામાન જપ્ત કરવામાં બે દિવસનો વિલંબ કર્યો. જો તેમની સમયસર તપાસ કરવામાં આવી હોત તો આરોપીઓ સામે મજબૂત પુરાવા મળી શક્યા હોત. એજન્સીએ પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL)ને તપાસ માટે મોકલી આપ્યા છે.