રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે જૂનાગઢ શહેરમાં રાત્રીના સમયે માત્ર બે કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે જિલ્લા કલેક્ટરે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સાથે સાવેચતી રાખવા જણાવવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે, ત્યારે જૂનાગઢ શહેરમાં સાંજના 6:30 પછી વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી. જેમાં ભવનાથ, દોમોદર કુંડ, દોલતપરા સહિતના 8 વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં બે દિવસ પહેલા પડ્યો હતો તેના કરતા વધુ વરસાદ પડ્યો છે. જેમાં સુદર્શન તળાવમાં છલકાયું છે અને ભારતી આશ્રમમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જ્યારે ગિરનાર પર્વત પર ધોધમાર 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જો કે, 8:45 વાગ્યા બાદ વરસાદ રોકાયો છે, પરંતુ કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ છે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને શહેરીજનોને જણાવવામાં આવ્યું છે કે, જૂનાગઢ સિટી અને ગિરનારમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે લોકોને બિનજરૂરી ભવનાથ વિસ્તાર, દામોદર કુંડ તરફ અવર-જવર ન કરવા, નદી, નાળા પાસે ન જવા, પ્રવાસ ટાળવા સહિતની સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા ફાયર વિભાગની ટીમો તેમજ અધિકારીઓને તાત્કાલિક ફિલ્ડમાં પહોંચવા કલેકટરે આદેશ કરવાની સાથે રજા પર રહેલા અધિકારીઓને તાત્કાલિક હાજર થવા સૂચનાઓ આપી દેવામાં આવી છે.
નર્મદા ડેમ છલોછલ ભરાયો
ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમે પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર વટાવી છે. સિઝનમાં પહેલીવાર ડેમ છલોછલ ભરાયો છે. ઉલ્લેખનીય છે કે, આ ચોમાસાની સિઝનમાં ડેમના દરવાજા 33 અલગ અલગ દિવસો પર ખોલીને (10/08/2024થી 27/09/2024) સુધીમાં કુલ 77 લાખ 39 હજાર 786 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.