નવરાત્રિના તહેવારને શરૂ થવાને માત્ર એક દિવસ બાકી છે, ત્યારે ગરબા આયોજકોએ પોલીસ પરવાનગી મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા આપવામાં આવતું NOC લેવા માટે દોડવું પડ્યું છે. ચાલુ વર્ષે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ફાયર વિભાગની એનઓસી લેવાનું ફરજિયાત કર્યું છે. પોલીસ વિભાગ અને ફાયર વિભાગ વચ્ચે સંકલનના અભાવે નવરાત્રિ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા ફાયર NOC લેવાનું ફરજિયાત કરવામાં આવતા હવે ગરબા આયોજકોમાં દોડધામ મચી છે.
નવરાત્રિ દરમિયાન ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકોને ગરબાના સ્થળ ઉપર કોઈ આગ-અકસ્માતનો બનાવ ન બને અને તકેદારીના ભાગરૂપે ફાયર વિભાગ તરફથી 30 જેટલા નિયમો સાથેની ગાઈડલાઈન આપવામાં આવી છે. જે જાહેર નોટિસ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન ક્યાંય કોઈપણ આવવાના હોય અથવા તો કોઈ આયોજક દ્વારા સામેથી ફાયર એનઓસી માંગવામાં આવે તો આપવામાં આવતી હતી, પરંતુ ચાલુ વર્ષે પોલીસ દ્વારા ફાયર એનઓસી આપવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેના કારણે હવે છેલ્લી ઘડીએ ફાયર એનઓસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.