અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કૃષ્ણનગર વિસ્તારમાં 28 લાખના ચાંદીના દાગીના ભરેલી થેલીની લૂંટ એક મહિલાએ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે બપોરના સમયે માણેકચોકમાંથી એક સેલ્સમેન 28 લાખની કિંમતના ચાંદીના દાગીના ભરેલો થેલો લઇને અલગ અલગ વિસ્તારમાં સોના ચાંદીની દુકાન પર માર્કેટિંગ માટે જતો હતો. તે સમયે કૃષ્ણનગરના સરદાર ચોક પાસે તે પસાર થઈ રહ્યો હતો ત્યારે એક્ટિવા પર આવેલી એક મહિલા જેણે હાથ પર મોજા અને આંખો પર ચશ્મા પહેર્યા હતા. તેણે આ વ્યક્તિનો થેલો ઝૂટંવીને એક્ટિવા લઇને ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ સમગ્ર મામલો સામે આવતા ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા અને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હોવાની વિગતો મળી રહી છે. આ સમગ્ર મામલે હાલ સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. અમારી અલગ અલગ ટીમ આરોપીને પકડવા માટે પ્રયાસ કરી રહી છે.આ અંગે ટેકનિકલ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.