અમદાવાદમાં રહેતા એક વૃદ્ધે વર્ષ 2023 માં ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે તેને કોઈની જમીન ઉપર અનઅધિકૃત કબજો કર્યો ન હોવા છતાં અમદાવાદ જિલ્લા કલેકટર ઓફિસના નિર્દેશથી તેની સામે નારોલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે તેને 07 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. અરજદાર કહ્યું હતું કે તેને કોઈની જમીન ઉપર ગેરકાનૂની કબજો કરેલ નથી. ખરેખરમાં વર્ષ 1975 થી તેઓનો ભાડા કરાર દ્વારા પ્રોપર્ટી ઉપર કબજો છે.
ભાડા કરારમાં તેના રિન્યુઅલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ભાડું પણ સમયસર ચૂકવવામાં આવતું હતું. બેન્ક સ્ટેટમેન્ટમાં પણ તેની એન્ટ્રી બતાવે છે. જિલ્લા કલેકટરની લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ પણ આ હકીકત મૂકવામાં આવી હતી. કેમ છતાં તેને અવગણીને ફરિયાદ નોંધવામાં આવી છે. 65 વર્ષના અરજદારને જેને લીધે સાત દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. અરજદારે આ સંદર્ભે સિવિલ સૂટ પણ વર્ષ 2023 માં દાખલ કર્યો હતો. જેમાં સિવિલ કોર્ટે જે છે તે પરિસ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો હતો. આ જમીન 50 વર્ષથી અરજદારના કબજામાં છે.
હકીકતો જાણીને હાઇકોર્ટે કલેકટરને સોગંદનામુ અને ઓરીજનલ રેકોર્ડ કોર્ટ સમક્ષ મુકવા આદેશ કર્યો હતો. તેમજ નારોલ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ સંદર્ભે કાનૂની કાર્યવાહી ઉપર સ્ટે આપ્યો હતો. હાઇકોર્ટને જણાવ્યું હતું કે યોગ્ય ચકાસણી વગર જ અરજદાર સામે ફરિયાદ નોંધવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. વળી જિલ્લા કલેકટર દ્વારા અપાયેલો જવાબ પણ અસ્પષ્ટ હતો. આથી હાઇકોર્ટે નોંધ્યું હતું કે જિલ્લા કલેકટર પાસે અસ્પષ્ટ જવાબની આશા રાખવામાં આવતી નથી. આ કમિટીમાં કોણ કોણ છે, કમિટીની રચના કેવી રીતે કરાય છે તેમજ કલેકટર ઓફિસમાંથી એક અધિકારીને હાઇકોર્ટમાં ઉપસ્થિત રહેવા આદેશ કરવામાં આવ્યો હતો.
હાઇકોર્ટે નોધ્યું હતું કે કમિટીએ કેઝ્યુઅલ રીતે નિર્ણય લઈને અરજદાર સામે ફરિયાદ નોંધવા નિર્દેશ આપ્યા હતા. જેને અરજદારની સ્વતંત્રતાનો ભંગ કર્યો હતો. જ્યારે લેન્ડ ગ્રેબિગ અંતર્ગત ફરિયાદ થઈ ત્યારે તેની પૂરતી તપાસ થવી જોઈતી હતી. હાઇકોર્ટે ભૂલ કરનાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા નિર્દેશ આપ્યા હતા. કલેકટરે પોતાની વ્યક્તિગત એફિડેવિટ ફાઇલ કરીને બિનશરતી માફી માંગી હતી. તેમજ આ કેસમાં કમિટી દ્વારા ભૂલ થઈ હોવાનો સ્વીકાર કર્યો હતો. કોર્ટે કલેકટરની માફીનો સ્વીકાર કર્યો હતો. પરંતુ કલેક્ટર ઓફિસને અરજદારને વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો.