ભારત સરકારે ગુરુવારે ઇસ્લામિક જૂથ હિઝબ-ઉત-તહરિર (HUT) ને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. કારણ કે તેનો ઉદ્દેશ્ય જેહાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓના માધ્યમથી વૈશ્વિક સ્તરે ઇસ્લામિક દેશ અને ખિલાફતની સ્થાપના કરવાનો છે. જૂથને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ પ્રતિબંધિત સંગઠન જાહેર કરતાં ગૃહ મંત્રાલયે કહ્યું કે, કેન્દ્ર સરકારનું માનવું છે કે, આતંકવાદમાં સામેલ હિઝબુત-તહરિર ભારતમાં પણ આતંકવાદના વિવિધ કૃત્યોમાં સામેલ છે.
વૈશ્વિક ઇસ્લામિક જૂથ HUTની રચના 1953 માં જેરુસલેમમાં કરવામાં આવી હતી. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે હિઝબુત તહરિરનું લક્ષ્ય જેહાદ દ્વારા લોકતાંત્રિક સરકારને હટાવીને ભારત સહિત વૈશ્વિક સ્તરે ઈસ્લામિક દેશ અને ખિલાફતની સ્થાપના કરવાનો છે.
આ જૂથને ગેરકાયદેસર જાહેર કરતા ગૃહ મંત્રાલયે કહ્યું કે, હિઝબુત તહરિર ભારતની લોકતાંત્રિક વ્યવસ્થા અને આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે HUT યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને તેમને ISIS જેવા આતંકવાદી સંગઠનોમાં જોડાવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા માટે પ્રેરિત કરવામાં સામેલ છે. HUT વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, સુરક્ષિત એપ્સનો ઉપયોગ કરીને સભાઓ યોજી યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરીને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે, HUT એક એવી સંસ્થા છે જેનો ઉદ્દેશ્ય દેશના નાગરિકોને (જૂથમાં) સામેલ કરીને જેહાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને ઉથલાવી દેવાનો છે અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઈસ્લામિક રાષ્ટ્ર અને ખિલાફતની સ્થાપના કરવાનો છે. આ દેશની લોકતાંત્રિક વ્યવસ્થા અને આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો છે.