આજે સોમવાર 14 ઓક્ટોબરના દિવસે મુંબઈથી ઊપડતી ત્રણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મોડી રાત્રે મુંબઈથી ઉપડેલી ન્યુયોર્ક જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, ત્યાર બાદ વધુ બે ફ્લાઇટમાં પણ આવી જ ધમકી મળી છે. મુંબઈથી જેદ્દાહ અને મસ્કત જતી ઈન્ડિગોની 2 ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે.
વધુમાં મુંબઈ-હાવડા મેલને પણ ટાઈમર બોમ્બની ધમકી આપવામાં આવી હતી. ઑફ-કંટ્રોલને સવારે લગભગ 4:00 વાગ્યે આ સંદેશ મળ્યો. ટ્રેન નંબર 12809ને જલગાંવ સ્ટેશન પર રોકીને તપાસ કરવામાં આવી હતી. તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ પછી ટ્રેન ગંતવ્ય સ્થાન તરફ આગળ વધી હતી.
સોમવારે સવારે મુંબઈથી ઈન્ડિગોની બે ફ્લાઈટને બોમ્બની ધમકીઓ મળી હતી, જેના પગલે સત્તાવાળાઓએ તાત્કાલિક પગલાં લીધાં હતાં. ઈન્ડિગોના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મસ્કત જતી ફ્લાઈટ 6E 1275 અને જેદ્દાહ જતી ફ્લાઈટ 6E 56ને બોમ્બની ધમકીઓ મળી હતી. સ્થાપિત સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને, બંને એરક્રાફ્ટને તરત જ અલગ ખસેડવામાં આવ્યા હતા. પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાને અનુસરીને, ફરજિયાત સુરક્ષા તપાસ તરત જ શરૂ કરવામાં આવી હતી.
મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. પ્લેનને ઝડપથી દિલ્હી તરફ વાળવામાં આવ્યું અને દિલ્હીના IGI એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા પ્રોટોકોલ મુજબ પ્લેનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ફ્લાઈટ ટ્રેકિંગ એપ FlightRadar24 અનુસાર, મુંબઈથી ન્યૂયોર્કના JFK એરપોર્ટ માટે AI 119 ફ્લાઈટ રાત્રે લગભગ 2 વાગ્યે મુંબઈથી ટેકઓફ થઈ હતી અને તરત જ તેને દિલ્હી તરફ વાળવી પડી હતી.