બિહારમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. મંગળવારે અને બુધવારે સિવાન, સારણ અને છપરામાં ઝેરી દારૂ પીવાથી 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઝેરી દારૂની આડઅસરથી ડઝનેક લોકોએ આંખોની રોશની ગુમાવી દીધી છે. ગંભીર સ્થિતિને કારણે સિવાનમાં 23 અને છપરામાં 4 લોકોના મોત થયા છે. ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મગહર ગામમાં પોલિથીન યુક્ત દારૂ પીવાથી લોકોની તબિયત લથડી હતી.
ઘણા લોકોને ઉલ્ટી, પેટમાં દુખાવો અને દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ બાદ સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન 23 લોકોના મોત થયા હતા, જ્યારે 4ને પીએમસીએચમાં રિફર કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેણે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી છે. છપરાના ઈબ્રાહીમપુર ગામમાં પણ ઝેરી દારૂ પીવાથી 4 લોકોએ જીવ ગુમાવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ ઝેરી દારૂ પીવાથી લગભગ 49 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. આ મામલાની તપાસ માટે સારણ પ્રશાસન દ્વારા SITની રચના કરવામાં આવી છે. સારણ ડીએમએ કહ્યું છે કે અમે પોસ્ટ મોર્ટમ અને વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. હાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સારણના ડીએમ અમન સમીરે કહ્યું છે કે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને SITની રચના કરવામાં આવી છે.