દુષ્કર્મ કેસમાં સુરત જેલમાં સજા કાપી રહેલાં નારાયણ સાંઈને વૃદ્ધ પિતા આસારામને જોધપુર જેલમાં મળવા જવાનો માર્ગ મોકળો થયો છે. આસારામની વૃદ્ધાવસ્થાને જોતા ગુજરાત હાઈકોર્ટમાં નારાયણ સાંઈએ આસારામની મુલાકાત લેવા અરજી કરી હતી. જેની ઉપર ડબલ જજની બેન્ચ દ્વારા હકારાત્મક પ્રતિક્રિયા આપી દેવાઈ છે. 4 કલાક જોધપુર જેલમાં નારાયણ સાંઈ તેના પિતા આસારામને મળશે.
આસારામની વૃદ્ધાવસ્થાને જોતા ગુજરાત હાઈકોર્ટમાં નારાયણ સાંઈએ આસારામની મુલાકાત લેવા 30 દિવસના હંગામી જામીન માંગ્યા હતા. જેમાં જણાવાયું હતું કે, આસારામ 86 વર્ષના છે. તેઓ વૃદ્ધાવસ્થા સંબંધી તકલીફોથી પીડાઈ રહ્યા છે. તેઓ જોધપુર જેલમાં બંધ છે. પહેલા તેમને જોધપુર AIMSમાં દાખલ કર્યા હતા. પછી એક આયુર્વેદિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેની તબિયત બગડી રહી છે. હાર્ટ એટેક પણ આવેલા છે. એન્જીયોગ્રાફીમાં તેની બે વેઇન 90 ટકા બ્લોક બતાવતી હતી. તેનું હિમોગ્લોબીન ઓછું અને ઇન્ટરનલ બ્લિડિંગ પણ થયું હતું. તે ડાયાબિટીસ અને બ્લડપ્રેશરથી પીડિત છે. પુત્ર અને પિતા 11 વર્ષથી મળ્યા નથી. આ અરજી ઉપર ડબલ જજની બેન્ચ દ્વારા માનવતા દાખવતા હકારાત્મક પ્રતિક્રિયા અપાઈ હતી.