ત્રણ વખતના મુખ્યમંત્રી અને હાલમાં NDA સરકારમાં કૃષિ મંત્રીની ભૂમિકા નિભાવી રહેલા ભાજપના કદાવર નેતા શિવરાજ સિંહ ચૌહાણનું કદ વધતું નજર આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને નવી જવાબદારી સોંપી છે. આ જવાબદારી હેઠળ તેઓ દેશભરમાં સરકારની નવી અને જારી કરવામાં આવેલી યોજનાઓની સમીક્ષા કરશે. વડાપ્રધાન મોદીએ એક નવી ટીમની રચના કરી છે જેની કમાન શિવરાજ સિંહ ચૌહાણને સોંપવામાં આવી છે. તાજેતરમાં જ આ સંદર્ભમાં એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. તેમાં સચિવ સ્તરના અનેક મોટા અધિકારીઓ સામેલ થયા હતા.
એક અહેવાલ પ્રમાણે કૃષિ મંત્રી બનવા પહેલા મધ્યપ્રદેશના ત્રણ વખતના મુખ્યમંત્રી રહી ચૂકેલા શિવરાજ સિંહ ચૌહાણની આગેવાની હેઠળની આ ટીમ દર મહિને સમીક્ષા બેઠક કરશે. આ બેઠક પ્રધાનમંત્રી કાર્યાલયમાં થશે જ્યાં તમામ સરકારી યોજનાઓની રફ્તાર વધારવા અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં હાજર રહેલા અધિકારીઓએ જણાવ્યું કે, પીએમ મોદીએ ચૌહાણને જાહેર કરવામાં આવેલ તમામ પ્રોજેક્ટની પ્રગતિ જોવાની શક્તિ આપી દીધી છે.
આ હેઠળ હવે કેન્દ્રીય મંત્રી વર્ષ 2014 એટલે કે પ્રથમ એનડીએ સરકારના કાર્યકાળથી લઈને અત્યાર સુધીમાં જાહેર કરવામાં આવેલી તમામ યોજનાઓની સમીક્ષા કરશે. જોકે સરકારે આ ટીમ અંગે જાણકારી જાહેર નથી કરી.
શિવરાજ સિંહ ચૌહાણ પ્રધાનમંત્રી પોર્ટલ પર પ્રકાશિત તમામ યોજનાઓ જેની આધારશિલા પીએમ મોદી દ્વારા રાખવામાં આવી હતી, બજેટમાં કરવામાં આવેલી જાહેરાત, એવા કાયદા જેના પર નિયમ બનાવવાના બાકી છે અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસની સમીક્ષા કરશે. અને જો કોઈ પ્રોજેક્ટમાં વિલંબ દેખાશે અથવા ત્યાં મંત્રી સ્તર પર કોઈ સમર્થનની જરૂર જણાશે તો આ સંબંધે ચૌહાણ સંબંધિત સચિવો સાથે સંપર્ક કરશે.