બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી વોવોઝોડું ‘દાના’ 18 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. ઓડિશાના ભદ્રકમાં ગુરુવારે સવારથી વરસાદ શરૂ થયો હતો. ચક્રવાત આજે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે ભીતરકણિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટ નજીક ટકરાશે. ભુવનેશ્વર હવામાન કેન્દ્ર અનુસાર આ સમય દરમિયાન, વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના ઉત્તરીય ભાગમાંથી પસાર થશે.
આ વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. જેના કારણે ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી લગભગ 16 કલાક ફ્લાઈટ્સ રદ રહેશે. ઓડિશાના 14 જિલ્લામાં 25 ઓક્ટોબર સુધી શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ જિલ્લાના 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તમામ ટુરિઝમ પાર્ક, ઓડિશા હાઈકોર્ટને 25 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. ઓડિશાએ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF), ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (ODRF) અને ફાયર બ્રિગેડની 288 ટીમો તહેનાત કરી છે.