ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ દક્ષિણ ભારતના હોઈ શકે છે. પાર્ટીએ 15 ડિસેમ્બર સુધીમાં નવા અધ્યક્ષની પસંદગી કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. રાજ્ય સંગઠનોને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં તેમના સંગઠનની ચૂંટણીઓ પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે પક્ષની બંધારણીય જરૂરિયાતો પૂરી થઈ શકે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ આ વર્ષે જાન્યુઆરીમાં પૂરો થયો હતો. લોકસભા ચૂંટણી માટે જૂન સુધી તેમનો સમયગાળો લંબાવવામાં આવ્યો હતો.
વાજપેયી સરકાર દરમિયાન દક્ષિણ ભારતના ત્રણ લોકો રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. તેઓ છેઃ બંગારુ લક્ષ્મણ, જના કૃષ્ણમૂર્તિ અને વેંકૈયા નાયડુ. પીએમ મોદીના બે કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર અને પશ્ચિમ ભારતના હતા. હાલમાં દક્ષિણના ભાજપના વરિષ્ઠ નેતાઓમાં પ્રહલાદ જોશી, એલ મુરુગન, જી. કિશન રેડ્ડી, કે. અન્નામલાઈ, કે. ઈશ્વરપ્પા, નિર્મલા સીતારમણ સામેલ છે. શક્ય છે કે પાર્ટી આમાંથી જ કોઈ એકને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે.
ભાજપના વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ આ વર્ષે જાન્યુઆરીમાં પૂરો થયો હતો. લોકસભા ચૂંટણી માટે જૂન સુધીનો સમયગાળો લંબાવવામાં આવ્યો હતો. જુલાઇમાં પાર્ટી નવા અધ્યક્ષની પસંદગી કરવાની હતી, પરંતુ નવા અધ્યક્ષની ચૂંટણી પહેલા સંગઠનાત્મક ચૂંટણીઓ જરૂરી છે. તેમાં 6 મહિના લાગે છે. તેથી, જૂનમાં, નડ્ડાનો કાર્યકાળ વધુ 6 મહિના લંબાવવામાં આવ્યો હતો.
અત્યાર સુધી ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી બિનહરીફ થતી હતી. તેનો અર્થ એ કે માત્ર એક જ વ્યક્તિ નોમિનેટ કરે છે અને મતદાન વિના અધ્યક્ષ તરીકે ચૂંટાય છે. આ વખતે પણ આ જ પરંપરા ચાલુ રહેવાની આશા છે. જો કે, 2013 માં, જ્યારે નીતિન ગડકરીને અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટવાની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે યશવંત સિંહાએ ઉમેદવારી નોંધાવી હતી. આનાથી હોબાળો મચી ગયો હતો, પરંતુ જ્યારે ગડકરીએ અનિચ્છા દર્શાવી ત્યારે સિંહાએ પોતાનું નામાંકન પાછું ખેંચ્યું અને રાજનાથ સિંહ અધ્યક્ષ તરીકે ચૂંટાયા.