ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરે નીલકંઠ વર્ણીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ છે. ભારતના એકપણ અક્ષરધામમાં અત્યાર સુધીમાં આટલી ઊંચાઈની નીલકંઠ વર્ણીની મૂર્તિ નથી. અક્ષરધામ ખાતે તપોમૂર્તિનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો. જેમાં પૂજન વિધિમાં 555 તીર્થોના જળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારતમાં આ માત્ર ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં જ આટલી ઊંચાઈની મૂર્તિનું સ્થાપન કરાયું છે. જો કે, અમેરિકાના રોબિન્સવિલે સ્થિત અક્ષરધામમાં આટલી જ ઊંચાઈની મૂર્તિ લગાવવામાં આવી ચૂકી છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે 32 વર્ષ પહેલાં ગાંધીનગરમાં ભવ્ય અને દિવ્ય અક્ષરધામની ભેટ આપી હતી. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની નિશ્રામાં બીએપીએસ સંસ્થાના સંતો અને હરિભક્તોના સમર્પણથી નવીન સોપાનો સર થઈ રહ્યાં છે. 11 નવેમ્બરે ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં મહંત સ્વામી મહારાજના હસ્તે આવા જ એક નૂતન સોપાન એટલે કે શ્રી નીલકંઠ વર્ણીની તપોમૂર્તિનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો.