મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુંબઈના દાદરમાં વિશાળ રેલી યોજી હતી, જોકે, આ રેલીમાં ડેપ્યુટી સીએમ અજિત પવાર અને તેમની પાર્ટીના અન્ય દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો નહોતો. અજિત પવારના પક્ષ સિવાય NCP ઉમેદવારો સના મલિક, નવાબ મલિક અને જીશાન સિદ્દીકીએ મહાયુતિ ગઠબંધનની રેલીમાં હાજરી આપી ન હતી. જ્યારે શિવસેના (શિંદે જૂથ) અને રામદાસ આઠવલેની આગેવાની હેઠળની RPI સહિત મહાયુતિના તમામ ઉમેદવારો રેલી દરમિયાન મંચ પર હાજર હતા.
PM મોદીએ રેલી દરમિયાન વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘મહાવિકાસ અઘાડીના લોકો તુષ્ટિકરણના ગુલામ બની ગયા છે. આ એ જ આઘાડી છે જે રામ મંદિરનો વિરોધ કરે છે. ભગવા આતંકવાદ જેવા શબ્દોનો પ્રયોગ કરે છે. કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવા ઠરાવ પસાર કરે છે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે મારી છેલ્લી જનસભા છે. મેં દરેક ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી છે. આખા મહારાષ્ટ્રના આશીર્વાદ આજે મહાયુતિ સાથે છે.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘મહાવિકાસ અઘાડીના લોકો માટે તેમની પાર્ટીને દેશથી ઉપર ગણે છે. જ્યારે ભારત પ્રગતિ કરે છે, ત્યારે અઘાડીના લોકોને પીડા થાય છે. આ લોકો ભારતની ઉપલબ્ધિઓ પર સવાલ ઉઠાવે છે. અઘાડીના લોકો જાતિના નામે લોકોને લડાવવામાં લાગેલા છે. કોંગ્રેસ પાણી વગરની માછલીની જેમ સરકાર બનાવવા માટે તરસી રહી છે.
મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે પણ મહાયુતિમાં આંતરિક વિરોધને સ્વીકારી લીધો છે. તેમણે કહ્યું, આ ચૂંટણી વિચિત્ર છે. પરિણામ પછી જ ખબર પડશે કે કોણ કોની સાથે છે. મહાયુતિમાં પણ આંતરિક વિરોધાભાસ છે. ફડણવીસે કહ્યું કે તેમની પાર્ટીનું સૂત્ર ‘બટેગે તો કટેગે’ વિપક્ષી મહાવિકાસ અઘાડી (MVA)ના ચૂંટણી પ્રચારના જવાબમાં બનાવવામાં આવ્યું છે. ભાજપના નેતાએ દાવો કર્યો હતો કે તેમના સાથીદારો અશોક ચવ્હાણ અને પંકજા મુંડે તેમજ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર તેનો મૂળ અર્થ સમજવામાં નિષ્ફળ રહ્યા છે.