બુધવારે સંસદના શિયાળુ સત્રમાં સરકારે પબ્લિક ટેલિફોન બૂથ (PCO) અંગે માહિતી આપી હતી. આ સમયે, સરકારે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં દેશભરમાં 44,922 જાહેર ટેલિફોન બૂથ બંધ કરવામાં આવ્યા છે. હાલમાં, દેશભરમાં લગભગ 17 હજાર ટેલિફોન બૂથ કાર્યરત છે.
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી પી ચંદ્રશેખરે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. મોબાઈલ ફોન ટેકનોલોજીની વ્યાપકતા વધવાથી જાહેર ટેલિફોન બૂથની સંખ્યામાં ઘટાડો થયો. આ માટે ટેલિ ડેન્સિટી અને મોબાઇલ એફોર્ડેબિલિટીમાં વધારો કારણભૂત છે, એમ પી ચંદ્રશેખરે જણાવ્યું હતું. એવો અંદાજ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 44,922 જાહેર ટેલિફોન બૂથ બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત, 30 જૂન, 2024 સુધી દેશભરના ગ્રામીણ વિસ્તારોમાં 1,519 જાહેર ટેલિફોન બૂથ અને શહેરી વિસ્તારોમાં 15,439 જાહેર ટેલિફોન બૂથ હતા, એમ પી ચંદ્રશેખરે જણાવ્યું હતું.