મુંબઈના કુર્લામાં BEST બસે અનેક વાહનોને ટક્કર મારી જેમાં 7 લોકોનાં મોત થયા અને 27 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત કુર્લા પશ્ચિમ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં થયો હતો. પોલીસે બસ ચાલકની ધરપકડ કરી છે. હવે બસના મેન્ટેનન્સની તપાસ ચાલી રહી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે, અકસ્માતનું મુખ્ય કારણ બસના બ્રેક ફેલ થવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે બસ ચાલક અચાનક બસ પરનો કાબુ ગુમાવી બેઠો હતો, ત્યારે બસે પહેલા રસ્તા પર ચાલતા લોકોને ટક્કર મારી દીધી અને પછી ઘણા વાહનો સાથે અથડાઈ હતી. અંતે બસ રહેણાંક સોસાયટી સાથે અથડાઈને અટકી ગઈ. BMCના અધિકારીએ આ દુર્ઘટનાને બ્રેકમાં ખામીના કારણે બનેલી ગણાવી છે.
BMC અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત કુર્લાના BSM ખાતે L વોર્ડ પાસે થયો હતો. બેસ્ટની બસ કુર્લા રેલવે સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. પરંતુ બસ અચાનક ડ્રાઈવરના કાબુ બહાર ગઈ હતી. બસે પહેલા રાહદારીઓને કચડી નાખ્યા અને પછી ત્યાં પાર્ક કરેલા કેટલાક વાહનો સાથે અથડાઈ. આ પછી બસ રહેણાંક સોસાયટીના ગેટ સાથે અથડાઈને થંભી ગઈ હતી. ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરવાનું શરૂ કર્યું અને ઘાયલોને નજીકની ભાભા હોસ્પિટલમાં દાખલ કર્યા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અધિકારીના જણાવ્યા અનુસાર, એવી આશંકા છે કે અકસ્માતનું કારણ બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. અકસ્માત બાદ પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.