પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના એક નિવેદને INDIA ગઠબંધનમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે.તૃણમૂલ કોંગ્રેસે (TMC) વ્યવસ્થિત રીતે ઇન્ડિયા ગઠબંધનની નેતાગીરી માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું નામ ફરતું કર્યું છે. TMCના નેતાઓ મમતાને ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્ત્વ આપવા એક પછી એક નિવેદન આપી રહ્યાં છે. બીજી તરફ INDIA ગઠબંધનની સહયોગી પાર્ટી પણ મમતા બેનરજીના સમર્થનમાં આવ્યા છે.
RJD નેતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, “પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને INDIA ગઠબંધનના નેતા ચૂંટવા જોઇએ. લાલુ પ્રસાદે કહ્યું કે કોંગ્રેસના વિરોધનો કોઇ અર્થ નથી. મમતા બેનરજીને જ નેતા બનાવવા જોઇએ. આ દરમિયાન લાલુ પ્રસાદ યાદવે ભાર આપીને કહ્યું કે બિહારમાં આગામી ચૂંટણીમાં તેમની પાર્ટી સત્તામાં આવશે. આ પહેલા શરદ પવારે પણ મમતા બેનરજીનું સમર્થન કર્યું હતું. શરદ પવારે કહ્યું, “હા, ચોક્કસપણે તેઓ ગઠબંધનનું નેતૃત્વ કરવા સક્ષમ છે.મમતા આ દેશના મુખ્ય નેતા છે તેમની પાસે તે ક્ષમતા છે.સંસદમાં તેમના દ્વારા ચૂંટાયેલા નેતાઓ જવાબદાર, કર્તવ્યનિષ્ઠ અને જાગૃત લોકો છે, માટે તેમને આવું કહેવાનો અધિકાર છે.”
તેજસ્વી યાદવે કોલકાતામાં કહ્યું હતું કે અમને મમતા બેનરજીનું નેતૃત્ત્વ કરવામાં કોઇ સમસ્યા નથી પરંતુ આ ધ્યાનમાં રાખતા કે ભાજપ વિરોધી ગઠબંધનમાં કેટલાક સીનિયર રાજનેતા છે. એક સાથે બેસીને નેતા પસંદ કરવા પર સામહિક નિર્ણય લેવાની જરૂર છે.
TMCના સાંસદ કીર્તિ આઝાદે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના નેતા માટે મમતા બેનરજી સૌથી વધુ લાયક છે. જો ભાજપને માત આપવી હશે તો મમતા બેનરજીને ઇન્ડિયા ગઠબંધનની કમાન સોંપવા સિવાય છૂટકો નથી.
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે લોકસભા ચૂંટણી પછી INDIA ગઠબંધનની કોઇ બેઠક મળી નથી, માટે નેતૃત્ત્વ પરિવર્તનનો સવાલ જ નથી ઉભો થતો. બેઠક થવા દો અને મમતા બેનરજી ઇચ્છે તો નેતૃત્ત્વનો દાવો કરી શકે છે. આ દરમિયાન ત્યાં ચર્ચા થઇ શકે છે.