કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે યુવાનોના અચાનક મૃત્યુનું કારણ કોવિડ વેક્સિન નથી. નડ્ડાએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના અહેવાલને ટાંક્યો છે. નડ્ડાએ કહ્યું, આ રિસર્ચ દર્શાવે છે કે વેક્સિનેશનથી જોખમ વધ્યું નથી પરંતુ તે ઘટ્યું છે.ICMRએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં 18 થી 45 વર્ષની વચ્ચેના લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા. તેમને કોઈ બીમારી નહોતી. 1 ઓક્ટોબર, 2021 થી 31 માર્ચ, 2023 ની વચ્ચે તેમનું અચાનક મોત થયું.
ICMRનો આ રિપોર્ટ 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાંથી સેમ્પલ લઈને તૈયાર કરવામાં આવ્યો છે. રિસર્ચ દરમિયાન, અચાનક મોતના 729 કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. 2916 કેસ એવા હતા જેને બચાવી લેવામાં આવ્યા હતા. રિસર્ચ દર્શાવે છે કે કોવિડ-19 વેક્સિનના ઓછામાં ઓછા એક કે બે ડોઝ લેવાથી કોઈ પણ કારણ વગર અચાનક મૃત્યુની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
રિસર્ચમાં એવા પરિબળો પણ બહાર આવ્યા છે જે અચાનક મૃત્યુનું જોખમ વધારે છે. આમાં ફેમિલી મેડિકલ હિસ્ટ્રી, મૃત્યુ પહેલાંના 48 કલાકમાં દારૂ પીવો, મનોરંજક દવાઓનો ઉપયોગ અને મૃત્યુના 48 કલાકમાં ભારે શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. નડ્ડાએ આ રિસર્ચથી સ્પષ્ટ કર્યું કે કોવિડ-19 વેક્સિનેશન અને યુવાનોના અચાનક મોત વચ્ચે કોઈ સંબંધ નથી.
કોવિડ વેક્સિનની આડ અસરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. 14 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કોરોના વેક્સિનના કારણે લોહી ગંઠાઈ જવા જેવી આડઅસરનો આક્ષેપ કરતી PIL ફગાવી દીધી હતી. ત્યારે ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું હતું કે PIL માત્ર સનસનાટી ફેલાવવા માટે જ કરવામાં આવી હતી. બેન્ચે કહ્યું, ‘ક્લાસ એક્શન સૂટ દાખલ કરો! આનાથી શું ફાયદો? કૃપા કરીને એ પણ સમજો કે જો તમે વેક્સિન ન લો તો તેની આડઅસર શું થશે. અમે આ મુદ્દો ઉઠાવવા માંગતા નથી, તે માત્ર સનસનાટી પેદા કરવા માટે છે. આ અરજી પ્રિયા મિશ્રા અને અન્ય અરજદારો દ્વારા કરવામાં આવી હતી.