સંસદના શિયાળુ સત્રનો મંગળવારે (17 ડિસેમ્બર) 17મો દિવસ છે. વન નેશન-વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સૌપ્રથમ વન નેશન, વન ઇલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું.મેઘવાલે કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત ત્રણ કાયદાઓમાં સંશોધનનું બિલ પણ રજૂ કર્યું હતું. આ બિલમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર અધિનિયમ- 1963, ધ ગવર્નમેન્ટ ઓફ નેશનલ રેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી- 1991 અને જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ- 2019નો સમાવેશ થાય છે. તેના દ્વારા જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સુધારા પણ કરી શકાય છે.
બિલની રજૂઆત પહેલા કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયે જણાવ્યું હતું કે સ્વતંત્રતા બાદથી ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભાની 400થી વધુ ચૂંટણીઓ કરાવી છે. હવે અમે એક દેશ, એક ચૂંટણીનો કોન્સેપ્ટ લાવવા જઈ રહ્યા છીએ. એક ઉચ્ચ સ્તરીય સમિતિએ તેનો રોડમેપ તૈયાર કર્યો છે. આનાથી વહીવટી કાર્યક્ષમતા વધશે, ચૂંટણી સંબંધિત ખર્ચમાં ઘટાડો થશે અને નીતિની સાતત્યતાને પ્રોત્સાહન મળશે.
એક દેશ-એક ચૂંટણી પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ લગભગ 191 દિવસ સુધી હિતધારકો અને એક્સપર્ટસ્ સાથે ચર્ચા કર્યા પછી, 14 માર્ચ, 2024 ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો અહેવાલ સુપરત કર્યો. એક દેશ-એક ચૂંટણીનો અમલ કરવા માટે બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં 1 નવી કલમ ઉમેરવા અને 3 કલમોમાં સુધારો કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. સરકાર આ મુદ્દે સર્વસંમતિ સાધવા માંગે છે, તેથી બિલને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવામાં આવે તેવી શક્યતા છે.
રાજ્યસભામાં બીજા દિવસે પણ બંધારણ પર વિશેષ ચર્ચા ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ચર્ચાનો જવાબ આપી શકે છે. આ પહેલા પીએમએ 14 ડિસેમ્બરે લોકસભામાં બંધારણ પર વિશેષ ચર્ચામાં ભાગ લીધો હતો. ચર્ચા દરમિયાન તેમણે કોંગ્રેસને બંધારણનો શિકાર કરનારી પાર્ટી ગણાવી હતી.