દિલ્હી પોલીસે સંસદ સંકુલમાં મારામારીનો મામલો ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દીધો છે. આ કેસમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 6 કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. ગુરુવારે સવારે ઈન્ડિયા બ્લોક અને બીજેપી સાંસદો સંસદ પરિસરમાં મકર દ્વાર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન બંને પક્ષના સાંસદો સામસામે આવી ગયા હતા અને ધક્કામુક્કી થઈ હતી.
ઓડિશાના બાલાસોરથી ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા હતા. સારંગીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલે એક સાંસદને ધક્કો માર્યો હતો, જે આવીને તેમના પર પડ્યા હતા. જ્યારે સારંગી મીડિયા સામે આવી ત્યારે તેમના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. સારંગી ઉપરાંત ફરુખાબાદના બીજેપી સાંસદ મુકેશ રાજપૂત પણ ઘાયલ થયા છે. બંનેને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજે રાહુલ વિરુદ્ધ BNSની 7 કલમો હેઠળ હત્યાનો પ્રયાસ, ધમકાવવા અને ધક્કામુક્કી કરવાના આરોપો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસે કલમ 109 (હત્યાનો પ્રયાસ) હટાવી અને માત્ર 6 કલમો હેઠળ એફઆઈઆર નોંધી. બીજી તરફ કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગે સામે ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાવી હતી.