દેશમાં મોબાઈલ અને ખાસ કરીને સ્માર્ટફોનના વધતા ઉપયોગર્તાઓમાં એક વિશાળ વર્ગ હજું એવો છે જે ફકત કોલીંગ અને એસએમએસ સુવિધાવાળા બેઝીક મોબાઈલ ફોનમાં જ ઉપયોગ કરે છે પણ ઈન્ટરનેટના આગમન બાદ મોબાઈલ કંપનીઓ માટે ડેટા બીઝનેસ સૌથી વધુ કમાણી આપનાર બની ગયો છે. પરંતુ મોબાઈલ સેવા આપતી કંપનીઓ હવે તેના પ્રી-પેઈડ કે પોસ્ટપેઈડ તમામ પ્લાનમાં ડેટા પેકેજ સમાવીને મોંઘા બન્યા છે. જે બેઝીક ફોનનો ઉપયોગ કરનારને માટે ભાગ્યે જ કોઈ રીતે જરૂરી છે તે અંગે હવે ટેલીકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડીયાએ તમામ મોબાઈલ સેવા આપતી કંપનીઓને ‘વોઈસ-એસએમએસ’ માટે અલગ પ્લાન ઓફર કરવા આદેશ આપ્યો છે.
સોમવારે આ અંગે ટેરીફ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ હવે જે ગ્રાહકો ડેટાનો ઉપયોગ કરવા માંગતા નથી તેમને ફકત વોઈસ કોલ- એસએમએસની મર્યાદીત મોબાઈલ સેવા માટે ખાધ પ્લાન ઓફર કરવા પડશે. આ માટે ટ્રાઈએ વિશેષ રીચાર્જ કૂપન માટે જે 90 દિવસની સમયમર્યાદા છે તે વધારીને 365 દિવસ કરી છે.
ટ્રાઈએ આ અંગે જાહેર કર્યુ છે કે, મોબાઈલ સેવા આપતી કંપનીઓએ કમ સે કમ એક એવો પ્લાન ઓફર કરવો પડશે જેમાં ફકત કોલીંગ અને એસએમએસની જ સુવિધા ઉપલબ્ધ રહેશે અને તે 365 દિવસની વેલીડીટી પણ ઓફર કરી શકશે પણ તેનાથી વધુ દિવસની રહેશે નહી જે મોબાઈલ ધારકો ફકત બેઝીક મોબાઈલનો ઉપયોગ કરે છે તેઓને આ પ્લાનથી ફાયદો થશે. ડેટાનું બિલ ભરવું પડશે નહી. ટ્રાઈએ આપેલા આદેશમાં મોબાઈલ કંપનીઓને કોઈપણ કિંમતનું રીચાર્જ વાઉચર ઓફર કરવાની છુટ આપી છે. અગાઉ મોબાઈલ કંપનીઓ રૂા.10નો રીચાર્જ પ્લાન પણ ઓફર કરતી હતી. હવે તેવો સમય પાછો આવે તો આશ્ચર્ય થશે નહી. ટ્રાઈ લાંબા સમયથી આ વિચાર કરી રહી હતી. દેશમાં હજુ 30%થી વધુ મોબાઈલ ધારકો પાસે સ્માર્ટફોન નથી અથવા તેઓ ડેટાનો ઉપયોગ કરતા નથી. તેઓને વોઈસ-કોલીંગ અને એસએમએસ પુરતો જ વ્યવહાર છે પણ ડેટા સાથેના પ્લાન તેઓ માટે વધારાનો ખર્ચ બની જતા હતા જે હવે બનશે નહી.