દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિનંતી કરી હતી અને કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ બંને સાથે આ અંગે વાત કરી હતી. તેના પ્રત્યુત્તરમાં સરકારે કહ્યું કે તે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવા માટે કોંગ્રેસની વિનંતીને સ્વીકારી છે .
ગૃહ મંત્રાલયે કહ્યું: “સરકારને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરફથી ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવાની વિનંતી મળી. કેબિનેટની બેઠક પછી તરત જ,ગૃહમંત્રી અમિત શાહે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને દિવંગત ડૉ. મનમોહન સિંહના પરિવાર સાથે વાતચીત કરી હતી અને કહ્યું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે.” મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રાલયને મોકલેલા પત્રમાં લખ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ત્યાં જ કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બની શકે. કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મનમોહન સિંહે તેમના કાર્યકાળ દરમિયાન માહિતીનો અધિકાર, શિક્ષણનો અધિકાર, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો અને જમીન સંપાદન કાયદા સહિત ઘણા મુદ્દાઓ પર કામ કર્યું.