દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિનય કુમાર સક્સેનાએ સોમવારે મુખ્યમંત્રી આતિશીને નવા વર્ષની શુભેચ્છા પાઠવતો પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું છે કે તેમના અઢી વર્ષના કાર્યકાળમાં પહેલીવાર તેમણે મુખ્યમંત્રીને કામ કરતા જોયા છે. તમારા પહેલા સીએમ (અરવિંદ કેજરીવાલ) પાસે એક પણ વિભાગ નહોતો, જ્યારે તમે ઘણા વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા છો. LGએ લખ્યું કે, થોડા દિવસ પહેલા પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરમાં તમને અસ્થાઈ અને કામચલાઉ મુખ્યમંત્રી કહ્યા હતા. મને આ ખૂબ જ અપમાનજનક લાગે છે અને હું તેનાથી દુખી છું. આ માત્ર તમારું જ નહીં, પરંતુ ભારતના રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિ તરીકે મારું પણ અપમાન છે જેમણે તમને નિયુક્ત કર્યા છે.
એક અઠવાડિયા પહેલા કેજરીવાલને પત્ર લખ્યો હતો.22 ડિસેમ્બરે LGએ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ગંદકી અને ગેરવહીવટ પર સવાલ ઉઠાવતો એક વીડિયો શેર કર્યો હતો. આના પર AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે LGનો આભાર માન્યો અને કહ્યું કે તેમણે અમારી ખામીઓ દર્શાવવી જોઈએ, અમે બધી ખામીઓ દૂર કરીશું. બીજા દિવસે કેજરીવાલે પોતાની X પોસ્ટમાં માહિતી આપી કે વિસ્તારોમાં સફાઈનું કામ શરૂ થઈ ગયું છે. આ વાતને લઈને LGએ કેજરીવાલને પત્ર લખ્યો હતો. LGએ લખ્યું હતું કે, જો બે વર્ગના બાળકોને એક રૂમમાં બેસીને અભ્યાસ કરવો પડે છે તેવી શાળાઓ પર પણ ધ્યાન આપવામાં આવે તો મને આનંદ થાત. મોહલ્લા ક્લિનિકની વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં આવ્યો હોત. છેલ્લા અઢી વર્ષમાં મેં તમને દિલ્હીના લોકોની સમસ્યાઓ વિશે ઘણી વાર કહ્યું, પરંતુ આજ સુધી તેના પર કોઈ કામ થયું નથી. યમુનામાં વધી રહેલા પ્રદૂષણ માટે હું તમને પણ જવાબદાર ગણીશ, કારણ કે તમે જ યમુનાની સફાઈનું કામ રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.