આસામના દિમા હસાઓ જિલ્લાના ઉમરાંગસોમાં 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં 8 મજુરો છેલ્લા 72 કલાકથી ફસાયેલા છે. બુધવારે એક મજૂરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. હવે એરફોર્સના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા છે. NDRF અને SDRFની ટીમો પણ મદદ કરી રહી છે. ભારતીય સેના અને આસામ રાઇફલ્સના ડાઇવર્સ અને મેડિકલ ટીમો સાથે એન્જિનિયર્સ ટાસ્ક ફોર્સ પણ હાજર છે.
NDRFની ફર્સ્ટ બટાલિયનના કમાન્ડન્ટ એચપીએસ કંડારીએ જણાવ્યું – બે મોટર દ્વારા ખાણમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે. એકવાર પાણી નીકળી જાય. તે પછી અમે અંદર જઈશું અને મેન્યુઅલ સર્ચ ઓપરેશન ચલાવીશું. આસામના સ્પેશિયલ ડીજીપી હરમીત સિંહે બુધવારે કહ્યું હતું કે ખાણની અંદર કશું દેખાતું નથી. નેવીનું ROV (રિમોટલી ઓપરેટેડ વ્હીકલ) ખાણની અંદર મોકલવામાં આવ્યું હતું. ROV ફોટોગ્રાફ્સ લેવામાં સક્ષમ છે અને સોનાર તરંગોથી સજ્જ છે. જો કે તેમાં કશું દેખાતું ન હતું. હવે ખાણની સફાઈ કરવામાં આવી રહી છે.
આ અકસ્માત 6 જાન્યુઆરીએ થયો હતો, જ્યારે મજુરો ખાણમાંથી કોલસો કાઢી રહ્યા હતા. મજુરોને બચાવવા માટે સેના તહેનાત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ રેટ માઈનર્સની ખાણ છે. તેમાં 100 ફૂટ સુધી પાણી ભરાયેલું છે, જેને બે મોટરની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યું છે. પોલીસે ખાણ માલિક પુનેશ નુનિસાની ધરપકડ કરી છે.