ભાવનગર,તા.15
ગીરનું ઘરેણું અને સૌરાષ્ટ્રની ગૌરવ એવા એશિયાટિક લાયનના રેલ્વે હડફેટે કમોતની ઘટના સંદર્ભે હાઇકોર્ટના કડક વલણ બાદ ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.
ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 128 સિંહોના જીવ બચાવાયા હોવાનો દાવો થઈ રહ્યો છે પરંતુ બે દિવસ પૂર્વેની એક ઘટનામાં રેલ્વે ટ્રેકથી દૂર કરવા માટે સિંહ પર પથ્થરો ફેંકાતા હોવાનો વિડિયો સામે આવ્યો છે, આ દ્રશ્યથી સિંહ પ્રેમીઓમાં નારાજગી જન્મી છે, સિંહોને દૂર કરવા આ કઈ પદ્ધતિ તેવા સવાલ ઉઠ્યા છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદની યાદી મુજબ 13.01.2025 સોમવારના રોજ લોકો પાઇલટ બલીરામ કુમાર અને આસિસ્ટન્ટ લોકો પાયલોટ દિનેશ ચન્દ દ્વારા કાંસિયાનેસ-સાસણ ગીર સેક્શનમાં કિમી નં. 116/5-116/9 વચ્ચે એક સિંહ અને એક સિંહણને રેલવે ટ્રેક ક્રોસ કરતા જોઈને પેસેન્જર ટ્રેન નં. 52946 અમરેલી-વેરાવળને ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી.
ટ્રેન મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટ્રેકર રાણાભાઈ ગઢવી દ્વારા ટ્રેક ક્લિયર કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, જ્યારે બધી સ્થિતિ સામાન્ય જોવા મળી, ત્યારે લોકો પાઇલટને ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવાનું કહેવામાં આવ્યું. ત્યાર બાદ, ટ્રેનને લોકો પાયલટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.
જોકે, રેલવેએ આ ઘટનાક્રમનો વિડીયો જાહેર કર્યો છે તેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ દ્વારા સિંહને રેલ્વે ટ્રેકથી દુર કરવા તેના પર પથ્થરના ઘા કરવામાં આવી રહ્યા છે. સિંહને બચાવવા માટે તેને ટ્રેક પરથી દૂર કરવો હિતાવહ છે સામાન્ય રીતે વન કર્મીઓ દ્વારા પણ સિંહોને લાકડી દેખાડી સન્માન પૂર્વક દૂર કરાતા હોય છે પરંતુ પથ્થર મારીને સિંહને આ રીતે હડસેલવા તે કૃત્ય અમાનવીય હોવાનો ગણગણાટ વ્યાપ્યો છે. સિંહના સંરક્ષણ સાથે ગૌરવ જળવાય રહે એ માટે સરકાર ચિંતિત છે ત્યારે સિંહનું આ રીતનું અપમાન કરવાનો અધિકાર કોને છે.? તેવો સવાલ ઉઠ્યો છે.