સુરતના લસકાણા ચાર રસ્તા પાસે 23 ફેબ્રુઆરીની સાંજના પૂરપાટ હંકારતા કારચાલકે વારા ફરતી બે બાઈકને ટક્કર માર્યા બાદ કાર બીઆરટીએસ રોડમાં ઘૂસીને પલ્ટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇકચાલક યુવકને હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતાં. જ્યારે એક યુવતીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેનું આજે મોત નીપજ્યું છે. અમરેલીના સગા ભાઈ-બહેનના મોત જ્યારે અન્ય યુવકના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, કામરેજમાં નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખભાઇ ગજેરા અને તેની બહેન શોભા સાથે સાંજે બાઇક પર કામ અર્થે જવા નીકળ્યા હતા. તે સમયે લસકાણા ચાર રસ્તા પાસે એક કારના ચાલેક પૂરપાટ ઝડપે કાર હંકારી રાજેશની બાઈકને ટક્કર મારી હતી. ત્યારબાદ બીજી બાઇકના ચાલક 48 વર્ષીય મહેશભાઈ નાનજીભાઈ લાઠીયાને પણ કારે અડફેટે લીધા હતા. બે બાઈકને અડફેટે લીધા બાદમાં કાર બીઆરટીએસ રોડમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં પલ્ટી થઈને ડીવાઈડર સાથે ભટકાઈ હતી. જેમાં ગંભીર ઈજા પામેલા રાજેશ ગજેરા અને મહેશભાઇ લાઠીયાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં વારા ફરતી બંને યુવકોના ટૂંકી સારવારમાં મૃત જાહેર કર્યા હતા. જયારે ગંભીર ઇજાગ્રસ્ત રાજેશની બહેન શોભાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
કારચાલકે અકસ્માત કર્યા બાદ બીઆરટીએસ રૂટમાં ઘૂસી કાર પલટી મારી ગઈ હતી. આસપાસથી દોડી આવેલા લોકો દ્વારા કારચાલકની કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કારચાલક અકાઉન્ટની નોકરી કરતો અર્જુન બાલુભાઈ વિરાણી (ઉં.વ.34 રહે. મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. રાજેશભાઈ મુળ અમરેલી સાવરકુંડલાના વતની હતા. રાજેશભાઈ તેની બહેન શોભા સાથે કામરેજથી મોટા વરાછા કામ અર્થે જવા નીકળ્યા હતા. તે સમયે રાજેશને રસ્તામાં કાળ ભેટી ગયો હતો. તેની બહેન શોભાને ગતરોજ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જેનું પણ આજે મોત નીપજ્યું છે. રાજેશભાઈ અપરિણીત હતા અને જોબવર્કનું કામ કરતા હતા.