વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચ 2025ના શુક્રવારના રોજ સુરત આવી રહ્યા છે. જેને લઈને સરકારી તંત્ર સાબદું થઈ ગયું છે. બીજી તરફ પોલીસ, પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ, રૂટની ચકાસણીમાં વ્યસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલીપેડ ખાતે આવશે. ત્યાંથી અંદાજે ત્રણ કિમી સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ પહોંચવાના છે. તેમજ શુક્રવારની સાંજે અને શનિવારે સવારે મળીને 28 કિમીના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે. PM મોદી શુક્રવારે સાંજે 14 કિમી ગાડીમાં ફરશે અને શનિવારે સવારે 14 કિમીનો રૂટ ગાડીમાં કાપી એરપોર્ટથી નવસારી રવાના થશે.
રૂટ ચકાસણી સાથે જ મળતી માહિતી મુજબ વડાપ્રધાન શુક્રવારે સવારે સુરત એરપોર્ટ આવ્યા બાદ હેલિકોપ્ટર મારફતે સેલવાસા જશે. સાંજે સેલવાસાથી હેલિકોપ્ટર મારફતે સુરતમાં પર્વત પાટિયા સ્થિત હેલીપેડ પહોંચશે. ત્યાંથી નીલગીરી ગ્રાઉન્ડ સુધીનો 3 કિમીનો રોડ-શો કરશે. PM મોદીના રોડ-શોને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઈડર, લાઈટોથી માંડી તમામ સ્તરે બ્યૂટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. તે પૂર્વે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરના મેયર સહિતના પદાધિકારીઓએ PM મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે. જોકે, તેમાં પહેલા રાજ્યના પુરવઠા મંત્રી, બાદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. જાહેર કાર્યક્રમ પૂરો થયા બાદ PM મોદી 11 કિમીનું અંતર કાપી અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ 14 કિમીનું અંતર કાપી સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી નવસારી કાર્યક્રમ માટે રવાના થશે.