સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને FCIના ગોડાઉનમાં મૂકવામાં આવી હતી. જેમાં આ આગની ગોઝારી ઘટનામાં 50000 કિલોથી પણ વધારેની મગફળી બળીને ખાખ થઈ ગઈ છે. જેમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જેસીબી સહિતના સાધનો વડે ગોડાઉનની દીવાલ અને બે શટરો તોડી આ વિકરાળ આગ બુઝાવવાની કાર્યવાહી યુદ્વના ધોરણે હાથ ધરવામાં આવી છે. બે કલાકની ભારે જહેમત બાદ મહદઅંશે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આગની ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં બનાવના સ્થળે દોડી આવ્યાં છે.