ગુનેગારોને ભારત બહાર જતા અટકાવવા માટે સરકારે હવે ત્રીજું નેત્ર ખોલ્યંુ છે. જેના ભાગરૂપે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ નાનો – મોટો કોઈ પણ ગુનો નોંધાયો હશે તો તેને નવો પાસપોર્ટ માત્ર 1 વર્ષ માટે જ મળશે. આવી વ્યક્તિને જો વિદેશ ફરવા જવંુ હશે તો પણ કોર્ટની મંજૂરી લેવી પડશે. જ્યારે ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને જો પાસપોર્ટ રિન્યુ કરાવવાનો હશે તો તેમાં પણ આ જ નિયમ લાગુ પડશે.
ભૂતકાળના વર્ષોમાં એવી સંખ્યાબંધ ઘટના બની હતી કે જેમાં કરોડોનું કૌભાંડ કરનારા કે હિસ્ટ્રીશીટરો દેશ છોડીને બહાર ભાગી જતા હતા. જો કે ભારતમાં એક પણ નાનો – મોટો ગુનો કર્યો હોય તેવા વ્યક્તિને ભારત બહાર જતા અટકાવવા માટે કેન્દ્રે પાસપોર્ટના કાયદામાં થોડો સુધારો કર્યો છે. ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવનારને નવો કે રિન્યૂ પાસપોર્ટ માત્ર 1 વર્ષની મર્યાદાનો જ મળી શકશે. પાસપોર્ટ કઢાવવા માટે પણ કોર્ટની મંજૂરી લેવાની રહેશે. પાસપોર્ટનું કામ કરતા પોલીસ કર્મચારીઓનું કહેવુ છે કે અત્યારસુધી દરેક વ્યકિતને 10 વર્ષનો પાસપોર્ટ મળતો હતો. પરંતુ હવેથી નાનો – મોટો કોઈ પણ ગુનો નોંધાયો હશે અને કેસ ચાલુ હશે તો 1 વર્ષ માટે જ પાસપોર્ટ મળશે. પોલીસ સ્ટેશનથી આવતા અભિપ્રાયમાં પોલીસે જે તે વ્યક્તિના ગુનાનું વર્ગીકરણ દર્શાવવું પડશે.
જે પણ વ્યક્તિ ઉપર કોઈ ગુનો હોય અને તેને 1 વર્ષ માટે પાસપોર્ટ કઢાવવાનો હશે તો તે માટે પહેલા કોર્ટની મંજૂરી લેવી પડશે. પાસપોર્ટ કઢાવવા માટે કોર્ટમાં રૂ.50 હજારથી રૂ.2 લાખ ડિપોઝીટ પેટે જમા કરાવવા પડશે. કોર્ટની મંજૂરી બાદ જો પાસપોર્ટ આવી જાય તો તે પાસપોર્ટ એક જ અઠવાડિયામાં કોર્ટમાં જમા કરાવવો પડશે. પછી જ ડિપોઝીટ પાછી મળશે. જ્યારે વિદેશ ફરવા જવા કોર્ટની મંજૂરી ફરજિયાત લેવી પડશે.