છત્તીસગઢમાં 22 નક્સલીઓના મોત અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “આજે આપણા સૈનિકોએ નક્સલ મુક્ત ભારત અભિયાનની દિશામાં વધુ એક મોટી સફળતા મેળવી છે. છત્તીસગઢના બીજાપુર અને કાંકેરમાં આપણા સુરક્ષા દળોના 2 અલગ-અલગ ઓપરેશનમાં 22 નક્સલીઓ માર્યા ગયા છે. મોદી સરકાર નક્સલીઓ સામે ક્રૂર અભિગમ સાથે આગળ વધી રહી છે અને શરણાગતિથી લઈને સમાવેશ સુધીની તમામ સુવિધાઓ હોવા છતાં શરણાગતિ ન સ્વીકારનારા નક્સલીઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે. આવતા વર્ષે 31 માર્ચ પહેલા દેશ નક્સલ મુક્ત થવા જઈ રહ્યો છે.”
સૈન્યને છત્તીસગઢના બીજાપુર અને કાંકેરમાં મળેલી સફળતા બાદ ગૃહમંત્રી અમિત શાહે પણ સૈન્યના કાર્યને બિરદાવ્યું હતું. દેશને નક્સલમુક્ત કરવાની મોદી સરકારની ડેડલાઈન ઉપર કામ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. એક મહિના અગાઉ પણ છત્તીસગઢમાં પંચાયત ચૂંટણી પહેલા બીજાપુર જિલ્લામાં મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નેશનલ પાર્ક વિસ્તારમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સુત્રો અનુસાર આ અથડામણમાં જવાનોએ 31 નક્સલીઓને ઠાર માર્યા હતા.
જાસુસી સુરક્ષા એજન્સીના સુત્રો અનુસાર, છત્તીસગઢમાં સતત પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણનું કારણ સ્પષ્ટ છે. કેન્દ્રથી લઇને રાજ્ય સરકાર સુધી નક્સલીઓનો ખાત્મો કરવાનો દૃઢ નિશ્ચય કરવામાં આવ્યો છે. એવામાં સુરક્ષા દળોના નવા નવા કેમ્પ લગાવવામાં આવી રહ્યાં છે. આ કારણે બીજાપુર અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે આ સૌથી મોટા ઓપરેશન થયા છે. લાલ આતંક ક્યાકને ક્યાક સુરક્ષાદળોના કેમ્પ ખુલવાથી ડરી ગયા છે.