જે હોટેલ રૂ.7500થી વધુ રૂમચાર્જ વસૂલ કરતી હોય અને સાથે સાથે જમવાની સર્વિસ પણ પૂરી પાડતી હોય તેણે હવે 5 ટકાને બદલે 18 ટકાના દરે જીએસટી ભરવાનો રહેશે. માત્ર જમવાનું પીરસતી હોટેલો માટે જીએસટીનો દર 5 ટકા જ રહેશે. જીએસટીમાં વધારાનો આ નિર્ણય 1 એપ્રિલથી જ અમલમાં આવી જશે. જીએસટી કાઉન્સિલની તાજેતરમાં મળેલી બેઠકમાં રેસ્ટોરાં અને હોટેલના રૂમ ભાડા પર જીએસટીના રેટને લઈ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં રૂ.7500થી વધુ રૂમચાર્જ વસૂલતી અંદાજે 40 હોટેલ છે.
અમદાવાદ શહેરમાં નાની-મોટી મળી લગભગ 700થી વધુ હોટેલ છે. પરંતુ 18 ટકાનો જીએસટી 7500થી વધુ રૂમચાર્જ વસૂલતી અને જમવાનું પીરસતી હોટેલોને જ લાગુ પડશે. દેખીતી રીતે જ જીએસટીમાં આ 13 ટકાના વધારાનો ભાર ગ્રાહકો પર જ પડશે. હોટેલ ઉદ્યોગના અગ્રણીઓનું કહેવું છે કે, જીએસટીના રેટમાં આ ફેરફારને કારણે રેસ્ટોરાંમાં જમવાનું મોંઘું થશે. જોકે આ મુદ્દે હજુ કેટલીક સ્પષ્ટતાઓ થઈ શકે છે.
ટેક્સ એકસ્પર્ટના જણાવ્યા મુજબ પાછલા વર્ષમાં રૂ. 7500 રૂમના ભાડાની જોગવાઇ નક્કી કરવામાં આવી છે. એકંદરે આ સુધારો કરવાના કારણે જે સામાન્ય અને મધ્યમ વર્ગની હોટેલ રેસ્ટોરન્ટને રાહત આપવાનો જે હેતુ હતો તે હેતુ ફળીભૂત થશે નહીં. આ નિયમમાં જે રકમને ઓછામાં ઓછા રૂ. 10 હજાર કરવામાં આવે અથવા તો 18 ટકાના દર માત્ર વૈકલ્પિક બનાવવામાં આવી જોઇએ.