અમેરિકા વધુ 295 ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરી શકે છે. આ વાતની જાણકારી ભારત સરકારે સંસદમાં આપી છે. આ પહેલા 5 ફેબ્રુઆરીએ જ્યારે અમેરિકામાંથી ગેરકાયદેસર રીતે પ્રવાસીઓને ભારત લાવવામાં આવ્યા હતા ત્યારે કથિત રીતે અપમાનજનક વ્યવહાર અને હથકડી પહેરાવવાની ફરિયાદ મળી હતી. આ ઘટનામાં ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકા સામે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું કે 15 અને 16 ફેબ્રુઆરીએ જે ફ્લાઇટ અમેરિકાથી ભારત આવી હતી તેમાં મહિલા પ્રવાસીઓને હથકડી લગાવવામાં આવી નહતી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદમાં જણાવ્યું છે કે, ‘યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ ની કસ્ટડીમાંથી વધુ 295 ભારતીય ઇમિગ્રન્ટ્સને ટૂંક સમયમાં ભારત ડિપોર્ટ કરવામાં આવી શકે છે. આ અંગે અંતિમ આદેશો આપી દેવાયા છે. ભારત સરકારની સંબંધિત એજન્સીઓ હાલમાં આ વ્યક્તિઓની રાષ્ટ્રીયતાની વિગતો ચકાસી રહી છે. જોકે, સરકારને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી ભારતીય પાસપોર્ટ ધરાવતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની કુલ સંખ્યા અંગે કોઈ માહિતી મળી નથી.
નોંધનીય છે કે, ફેબ્રુઆરીમાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 100થી વધુ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને હાથકડીઓ બાંધીને ભારત પરત મોકલાયા હતા, જેના પર ભારે વિવાદ થયો હતો. હવે આ અંગે જયશંકરે કહ્યું કે, ‘અમે અમેરિકા સમક્ષ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જે પછી અમેરિકાએ ઉલ્લેખ કર્યો છે કે, ડિપોર્ટ કરાયેલા લોકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાથકડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, મહિલાઓ અને સગીરોને સામાન્ય રીતે હાથકડીઓ બાંધવામાં આવતી નથી.’