સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને એક ડોક્ટરની વિધવાને વળતર ન આપવા બદલ ફટકાર લગાવી છે. વળતર માટે મહિલા નવ વર્ષથી કેસ લડી રહી છે. મહિલાના પતિનું 2016માં કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ફરજ દરમિયાન મોત થયું હતું. જે બદલ તત્કાલીન સરકારે પરિવાર માટે ૫૦ લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું, જે આજદિન સુધી મળ્યું નહોતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે ઉત્તરાખંડ સરકારથી નારાજ છે કે ડૉક્ટરના પરિવારને નવ વર્ષથી વળતર માટે કેસ લડવાની ફરજ પાડવામાં આવી છે, તેથી હવે તેમને આ દરમિયાનના વર્ષોનું વ્યાજ સાથે વળતર આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પીડિત પરિવારને 1 કરોડ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.
ન્યાયાધીશ જેકે મહેશ્વરી અને ન્યાયાધીશ અરવિંદ કુમારની બેન્ચ રાજ્ય સરકારની સ્પેશિયલ લીવ પિટિશન પર સુનાવણી કરી રહી હતી, જે ઉત્તરાખંડ હાઈકોર્ટના નિર્ણય સામે દાખલ કરવામાં આવી હતી. 2018 માં હાઇકોર્ટે રાજ્ય સરકારને પીડિત પરિવારને 1.99 કરોડ રૂપિયાનું વળતર આપવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે અરજી દાખલ કરવાથી લઈને ચુકાદો આવે ત્યાં સુધી વિધવાને 7.5 ટકા વાર્ષિક વ્યાજ સાથે 1.99 કરોડ રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. તેમણે રાજ્યના મેડિકેર સર્વિસ પર્સન એન્ડ ઈન્સ્ટીટ્યૂશન એક્ટ 2013ની જોગવાઈઓનો અમલ કરવા અને પરિવારને વધારાના પેન્શન લાભો પૂરા પાડવા પણ જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારના મુખ્ય સચિવ દ્વારા ૫૦ લાખ રૂપિયાના વળતરનો પ્રસ્તાવ રજૂ કરાયા બાદ અને મુખ્યમંત્રી દ્વારા તેને મંજૂરી આપવામાં આવ્યા પછી પણ હજુ સુધી પીડિત પરિવારને રકમ આપવામાં આવી નથી. જ્યારે પરિવારને એવું કહેવાયું કે, હજુ સુધી આની મંજૂરી મળી નથી. અરજદારનું કહેવું છે કે, અત્યાર સુધીમાં પરિવારને માત્ર 1 લાખ રૂપિયા જ સહાય અપાઈ છે. કોર્ટે રાજ્ય સરકારને આ રકમ નવ વર્ષના વ્યાજ સાથે પરિવારને એક કરોડ રૂપિયા આપવાનો આદેશ છે.
સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે પરિવારને ૧૧ લાખ રૂપિયા પહેલાથી જ આપી દેવાયા છે. વર્ષ 2021ના સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, પરિવારને રજાના પૈસા, ગ્રેચ્યુઇટી, GPF, ફેમિલી પેન્શન અને GIS આપવામાં આવ્યા હતા, જ્યારે તેમના પુત્રને પણ આરોગ્ય વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નિયુક્ત કરાયો છે. રાજ્ય સરકારની દલીલો સાંભળ્યા પછી કોર્ટે વળતરની રકમ 1 કરોડ રૂપિયામાંથી 11 લાખ રૂપિયા હટાવી 89 લાખ રૂપિયા કરી.